
રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના(મીડ ડે મીલ)નાં 43 લાખ બાળક માટે માઠા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે બાળકોને ઉપલબ્ધ કરાવાતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બાળકોને અગાઉ બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવતો હતો. નવા પરિપત્ર મુજબ તેમને હવે માત્ર બપોરનું ભોજન જ આપવામાં આવશે. વર્ષ 2017ના પરિપત્ર મુજબ તેમને અઠવાડિક નાસ્તો તથા ભોજન આપવા મેનુ નક્કી કરાયું હતું. નવા પરિપત્રમાં માત્ર બપોરનું ભોજન આપવાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના ઠરાવમાં જણાવ્યા મુજબ, તા.01/09/2024થી નવા મેનુનો અમલ કરવા તથા બાલવાટિકાથી ધોરણ 5 અને ધોરણ 6થી 8ના વિદ્યાર્થી માટે નિયત થયેલા દૈનિક જથ્થાનો અને સુપોષિત ગુજરાત મિશન હેઠળની વધારાની રકમ સહિતની ગુજરાત સરકારે નિયત કરેલ મટીરિયલ કોસ્ટનો ઉપયોગ કરી શાળામાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત બપોરનું ભોજન મળે એ સુનિશ્ચિત કરવાની તમામ જિલ્લા કલેક્ટરોને વિનંતી કરવામાં આવી છે.
આ અંગે મધ્યાહન ભોજનના સંયુક્ત સચિવ કે.એન. ચાવડાએ જણાવ્યું હતું કે બાળકોના ભોજનમાં શાકભાજીનું ઇનટેક વધે એવો સરકારનો આશય છે, સુપોષિત ગુજરાત મિશન હેઠળ શાકભાજી તથા અન્ય કેલરીયુક્ત ખોરાકના પૈસા વધારે છે. આદિજાતિ વિસ્તારના 11.50 લાખ બાળકને સવારે દૂધ પણ આપવામાં આવે છે. બાળકો એક ટાઇમ વધારે સારું જમી શકે, સંચાલકો તથા હેલ્પરનાં કામના કલાકો પણ જળવાઈ શકે એ માટે આ નિર્ણય લેવાયો છે. ટૂંકમાં, નાસ્તો અને જમવાની જે અલગ અલગ કેલરી હતી એને મર્જ કરી હવે બપોરના જમવામાં જ તમામ કેલરીયુક્ત ખોરાક આપવામાં આવશે.
વાર | નવો મેનુ |
સોમવાર | વેજ પુલાવ + દેશી આખા ચણાનું શાક |
મંગળવાર | દાળ ઢોકળી + લીલું શાક |
બુધવાર | ખીચડી શાક (અથવા) દાળ-ભાત અને શાક |
ગુરુવાર | દાળ ઢોકળી + લીલું શાક + સુખડી |
શુક્રવાર | વેજીટેબલ મુઠીયા + આખા ચણાનું શાક (અથવા) થેપલા અને આખા ચણાનું શાક |
શનિવાર | વેજ ખીચડી (અથવા) ખારીભાત(શાકભાજી સહિત) અને કઠોળ દાળ (અથવા) કઠોળ દાળ સહિતનો વેજ પુલાવ |
⇒ ધોરણ 1 થી 5 ના બાળકને
ચોખા 100 ગ્રામ, ચણા 20 ગ્રામ,
તેલ 10 ગ્રામ, શાકભાજી 50 ગ્રામ ,
ઘઉં 80 ગ્રામ, કઠોળ+દાળ- 20 ગ્રામ
⇒ ધોરણ 6 થી 8 ના બાળકને
ચોખા 150 ગ્રામ, ચણા 30 ગ્રામ,
તેલ 10 ગ્રામ, શાકભાજી 75 ગ્રામ,
ઘઉં 125 ગ્રામ, કઠોળ+દાળ- 30 ગ્રામ
• આ યોજનાનો મુખ્ય હેતુ પ્રાથમિક વિધ્યાર્થિઓને ખોરાક પૂરો પાડવાનો હેતુ છે.
• બાળકોમાં પોષણ વધારવું-બાળકોને પોષણક્ષમ ભોજન પૂરૂ પાડવું.
• સમાજના ગરીબ વિદ્યાર્થીઓને શાળામાં નિયમિત કરવા, હાજરી વધારવા, તેઓને વર્ગખંડની પ્રવૃત્તિઓમાં આકર્ષિત કરવા અને શાળામાં રસ લેતા કરવા માટે પ્રોત્સાહિત કરવાની યોજના છે.
• શાળાઓમાં અધવચ્ચે અભ્યાસ છોડી દેતા વિધ્યાર્થીઓનું પ્રમાણ ઘટાડવાનો હેતુ છે.
• આ યોજનાનો ગૌણ હેતુ ગ્રામીણ વિસ્તારમાં રોજગારી પૂરી પાડવાનો છે.
ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના વર્ષ-1984માં શરૂ થઈ છે. મધ્યાહન ભોજન યોજનામાં રાજ્ય સરકારનો 25% તથા કેન્દ્ર સરકારનો 75% હિસ્સો છે. સરકારી તેમજ સરકારી સહાયતા મેળવતી, સ્થાનિક પંચાયતી સંસ્થા દ્વારા સંચાલિત પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રથમિક શાળાઓ ચાલુ હોય તેવા દિવસોમાં સંપૂર્ણ મફત મધ્યાહન ભોજન આપવાની જોગવાઇ છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , મધ્યાહન ભોજન યોજના , Mid Day Meal Scheme , state-government-stopped-providing-breakfast-in- Mid-Day-Meal-Scheme-at-schools-know-new-lunch-menu , રાજ્યમાં મધ્યાહન ભોજનના બાળકોને હવે બપોરનું જ ભોજન મળશે : 1 સપ્ટેમ્બરથી સ્કૂલમાં અપાતો નાસ્તો બંધ, જાણો નવા મેનુમાં બાળકોનેે શું કરશે?